શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્યજીવન સાધના વિદ્યાલય, જોથાણ ખાતે ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના પાવન પર્વ ગુરુપૂર્ણિમાની હૃદયસ્પર્શી અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી.
અષાઢ મહિનાની પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. આપણા જીવનના પ્રથમ ગુરુ માતા-પિતા છે, ત્યારબાદ શિક્ષાગુરુ અને આધ્યાત્મિક ગુરુઓનું સ્મરણ કરી તેમના અમૂલ્ય માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવાનો આ વિશેષ અવસર છે.
આ પ્રસંગે ધોરણ-12ના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોનું કંકુ-તિલક કરીને સન્માન કર્યું તેમજ સ્મૃતિભેટ અર્પણ કરીને તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી.
કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, નિયામકશ્રી તથા સંસ્થાના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગુરુજનો પ્રત્યે આદર, સંસ્કાર અને કૃતજ્ઞતાની ભાવના જાળવી રાખવાનો સંદેશ આપ્યો.
સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓમાં ગુરુજનો પ્રત્યેનો પ્રેમ, આદર અને સંસ્કારભાવ જોઈ સૌએ તેમની પ્રશંસા કરી હતી.