નવાવાસ (દાંતા): ગુરુપૂર્ણિમાના પાવન અવસરે દાંતા તાલુકાના નવાવાસ ગામ સ્થિત ડી.ડી. ચોક્સી વિદ્યાલયમાં શાળા'ગુરુ વંદન–છાત્ર અભિનંદન' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા, ગુરુ ભજન તેમજ ગુરુના મહત્વને ઉજાગર કરતી પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરી સૌનું મન મોહી લીધું. પ્રાથમિક વિભાગમાંથી શ્રીમતી સુરેખાબેને મધુર ભજન રજૂ કર્યું, જ્યારે શ્રી ડી.એ. પઠાણ સાહેબે ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. શાળાના આચાર્ય શ્રી એચ. એમ. પટેલ સાહેબે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવ્યું.
ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ ગુરુજનોનું કંકુ-તિલક કરી અક્ષત અને પુષ્પથી પૂજન કરી ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ પ્રસંગે શ્રીમતી કિરણબેન એસ. સુથારે પણ સુંદર ભજન રજૂ કર્યું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી એન. આર. મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ ખૂબ જ ભવ્ય, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો.