નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન | Akhand Bharat Dainik
નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન
NARMADA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન
નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન
ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્યવસ્થા, સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન
નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સભ્યો માટે રાજપીપળા ખાતે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કાર્યશાળાનો મુખ્ય હેતુ પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની જવાબદારીઓ, સત્તાઓ અને વિવિધ સરકારી યોજનાઓ અંગે વધુ સજ્જ કરવાનો હતો.
મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સરકારની વિવિધ યોજનાઓની સચોટ માહિતી હોય તો તેઓ પોતાના વિસ્તારના લોકકલ્યાણના કામોને વધુ ઝડપથી આગળ ધપાવી શકે છે. તેમણે પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી વિકાસ કાર્યોમાં સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 15મા નાણાં પંચ હેઠળ રૂ.342.99 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે તેમજ 16મા નાણાં પંચ હેઠળ રૂ.332.64 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જિલ્લાના 545 પૈકી 539 ગામોને મોડેલ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમજ 69 નવા ગ્રામ પંચાયત ભવનોને મંજૂરી આપવામાં આવી છે.
ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન દેશમુખે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓની સુવિધા માટે મિની બસ સેવા શરૂ કરવામાં આવી છે.
તાલીમ કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા પદાધિકારીઓને પંચાયતી રાજ વ્યવસ્થામાં તેમની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામ પંચાયત વિકાસ યોજના, ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, ગ્રામસભાનું મહત્વ, પેસા એક્ટ અને ઘન કચરા વ્યવસ્થાપન જેવા વિષયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્રીમતી ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી. વાળા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.